પુત્રને પિતાનો પત્ર
Jagdish Trivedi
અમિતાભ આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ દુનિયા ફિદા છે.
રંજીવી મૌલિક
મજામાં હશે, જોકે મને વિશ્વાસ છે કે મારી અને તારી મમ્મીની એમ બંનેની મજા બગડી જાય છતાં તારી મજાનો વાળ વાંકો થવાનો નથી.
બેટા, તારું નામ મૌલિક પાડવાનું કારણ એવું છે કે ક્યારેક કોઈ નિવેદન કરે કે જગદીશ ત્રિવેદી મૌલિક નથી તો હું છાતી ઠોકીને કહી શકું કે મૌલિકનો બાપ છું. આમ પણ મૌલિક લેખક થવા કરતાં મૌલિકનો બાપ થવું સહેલું છે.
હવે મૂળ વાત ઉપર આવું તો કદાચ તું ભૂલી ગયો હશે પણ મને બરાબર યાદ છે કે તારે આવતી ચોથી માર્ચથી એસએસસીની પરીક્ષા આપવાની છે. જ્યારથી તું ટેન્થમાં આવ્યો છે ત્યારથી તારી મમ્મી ટેન્સમાં આવી છે.
એ તારી સાથે દરરોજ સવારે ચાર વાગે જાગે છે, તને ચા બનાવી આપે છે. પોતે ચા પીતી નથી છતાં તારા પરિણામની ચિંતામાં એકવાર જાગ્યા પછી સૂઈ શકતી નથી. અને તું પાડો તેલ પીવે એમ બાઉલ ભરીને ચા પીવા છતાં વાંચતા-વાંચતા ઊંઘી જાય છે.
દીકરા, મારે તને થોડાં ઉદાહરણ આપવાં છે, બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી વધુ અમીર માણસમાં થાય છે તે બિલભાઈ એમ કહેતા હતા કે હું ક્યારેય એકથી દસમાં આવ્યો નથી પણ રાજ્યમાં પ્રથમ આવેલા ઘણા યુવાનો મારી કંપનીમાં નોકરી કરે છે.
વિદેશીની વાત છોડો, સચિન તેંડુલકર ઠોઠ નિશાળિયો હતો, એટલે તો એકવાર નાપાસ થયો હતો પરંતુ અત્યારે મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકમાં સચિનના જીવન વિશેનો પાઠ આવે છે. અમિતાભ બચ્ચનનું બાળપણ અભાવમાં વીત્યું. આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ આખી દુનિયા ફિદા છે.
મુંબઈવાળાની વાત પણ છોડો, મને બીક છે કે મુંબઈનો ઠેકો લીધેલા ત્રણ ઠાકરેમાંથી એકાદ એમ પણ કહી શકે કે મરાઠી સિવાયના લેખકોએ મુંબઈના લોકો વિશે લખવું પણ નહીં, ઠાકરે કરે તે ઠીક. ગુજરાતીની વાત કરું તો પૂ. મોરારિબાપુ જૂની એસએસસીમાં ત્રણ વખત નાપાસ થયા હતા, નિષ્ફળતાની હેટ્રિક કરનાર બાપુ અત્યારે સૌથી સફળ વક્તા છે.
આપણા ધીરુકાકા ઉર્ફે ધીરુભાઈ અંબાણી ખૂબ ઓછું ભણ્યા અને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરી આપવાનું કામ કરતા કરતા દુનિયાને મુઠ્ઠીમાં ભરવાનું સપનું જોયું અને અત્યારે અનેક લોકોના આદર્શ બની ગયા.
જો બેટા, બિલ ગેટ્સ, તેંડુલકર, અમિતાભ, મોરારિબાપુ અને ધીરુભાઈ તને પારકા લાગતા હોય તો મારો પોતાનો દાખલો આપું. તને બરાબર ખબર છે કે આ તારો બાપ અગિયારમા ધોરણની સ્થાનિક પરીક્ષામાં નાપાસ થયો. બીજીવાર બારમા ધોરણમાં નાપાસ થયો, બે વખત નાપાસ થયા પછી એવી ચોટલી બાંધી કે બે વખત પીએચ.ડી. થયો અને અત્યારે આખી દુનિયામાં હાસ્યના કાર્યક્રમો આપવા જાય છે.
ઉપરનાં ઉદાહરણોનો અર્થ એવો ન કરીશ કે મહાન બનવા માટે નાપાસ થવું ફરજિયાત છે, પરંતુ નાપાસ થયા પછી પણ મહાન બની શકાય છે. શરત એટલી કે જીવતાં રહેવું જોઈએ. ઉપરના લોકોએ નિષ્ફળતા મળ્યા પછી આપઘાત કરી લીધો હોત તો વિશ્વને તેંડુલકર, અમિતાભ, મોરારિબાપુ કે ધીરુભાઈ મળ્યા હોત ખરા?
દીકરા મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તું પાસ થવાનો નથી. તું નાપાસ થઇશ એમાં તારો જરાપણ વાંક હશે નહીં, બધો વાંક માઘ્યમિક શિક્ષણ બોર્ડનો જ હશે. એણે તને આવડે નહીં એવા સવાલો પૂછ્યા અને પરીક્ષકે સાવ સાચી રીતે પેપર તપાસ્યાં એમાં તારો શું દોષ?
ભૂતકાળમાં રાજાઓ અમુક રાજ્ય ઉપર એક કરતાં વધુ વખત ચડાઈ કરતા હતા. તું રાજા નથી પણ પ્રજા છે એટલે રાજ્ય ઉપર નહીં પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર બીજીવાર ચડાઈ કરજે. મને શ્રદ્ધા છે કે પરીક્ષા બોર્ડ થાકી જશે પણ મારો દીકરો થાકવાનો નથી, અને કદાચ એવું પણ બને કે નાપાસ થવાની લાયકાતને કારણે ભવિષ્યમાં તું મહાન માણસ બની જાય.
આમ પણ દરેક વ્યક્તિને મહાન માણસ તરીકે મરવા કરતાં મહાન પુત્રના પિતા તરીકે મરવાની મજા વધુ આવતી હોય છે. પરીક્ષા કરતાં પ્રારબ્ધ હંમેશાં ચડિયાતું હોય છે.
બસ એજ લિખિતંગ બે વખત નાપાસ થયેલો બાપ.
Posted on March 9, 2011, in Uncategorized. Bookmark the permalink. 1 Comment.
nice share! Touching, and that too, lightly! Great work Trivediji!